|


સર્ગ નવમો
પ્રાણના દેવતાઓનું સ્વર્ગ
વસ્તુનિર્દેશ
અધાત્મ તપસ્યા કરતાં કરતાં અશ્વપતિ જડતત્વથી માંડીને પ્રાણના રાજ્યોના
સંપર્કમાં આવે છે અને જૂઠાણાનું જગત, પાપની માતા, તથા અંધકારગર્ભમાંથી
જન્મેલી પૈશાચી, રાક્ષસી અને આસુરી શક્તિઓ જુએ છે, અને એ શક્તિઓમાં મારક
મોહિની હોવા છતાં પોતાનામાં સાચી પરમાત્મનિષ્ઠા હોવાથી અને હૃદયમાં
પ્રભુને પધરાવેલા હોવાથી સલામત બહાર આવે છે.
પ્રાણનાંય સ્વર્ગો છે ને એ સ્વર્ગોના અધિષ્ઠાતા દેવતાઓ પણ છે. રાજાની આગળથી
જૂઠાણાની રાત્રિ સ્વપ્નવત્ સરી જતાં સુખભરી ઉષા ઊગી. પ્રભુનું સાન્નિધ્ય
અનુભવાયું, ભેદભાવ ટળ્યા, આત્માએ દેહને દીપ્ત કર્યો, જડતત્વ અને પરમાત્મા
એકાકાર બની ગયાં.
હવે રાજાની આસપાસ સુખશર્મનો મહાન દિવસ પ્રકાશ્યો. ત્યાં
હતી મુક્ત અને મત્ત મુદા, આરામભેર એ શ્વાસોચ્છવાસ લેતી હતી, રત્ન-રઢિયાળા
પ્રભુના હાસ્યમાં એને નિવાસ હતો, વિશ્વવ્યાપી પ્રેમને હૃદયમાં એની સેજ હતી,
બધે અલૌકિક સુવાસ લહરતી હતી, શોકરહિત સ્રોતોનું કલગાન સતત સુણાયા કરતું
હતું. ગંધર્વોનાં નગરો, કિન્નરોનાં ગાન, ધન્યાત્માઓનાં ગિરિશિખરો અને ખીણ
પ્રદેશો સ્વાભાવિક સુન્દરતાનાં ધામો હતાં.
આવા પ્રાણની ભૂમિકાનાં સ્વર્ગોએ અશ્વપતિને આવકાર આપ્યો. રાજાએ જોયું કે આ
સ્વર્ગોમાં પવિત્રતાની સ્વછંદિતાનાં રોમાંચ ધારતી શાંતિ હતી, પ્રેમનાં
સોનેરી ને ગુલાબી સ્વપ્નાં ત્યાં સિદ્ધ થયાં હતાં, અભિલાષા સર્વશક્તિમાન
જવાળા-રૂપે ઊંચે આરોહતી અને વિલાસિતામાં દેવોનો મહિમા દેખાતો હતો. સામાન્ય
વસ્તુઓ ત્યાં ચમત્કારી બની જતી, દુઃખ આનંદમાં પલટો પામી જતું, હૃદયને અને
ઈન્દ્રિયોને પૂર્ણ તૃપ્તિ પ્રાપ્ત થતી, અને છતાંય કશુંય દીનહીનતામાં અધ:પતન
પામતું નહીં.
૨
રાજાને આ મધુરતાની તીવ્રતાનો, અને પૂરેપૂરી પવિત્રતાનો અનુભવ થયો. ત્યાંના
સુખારામમાં એના વીર સ્વભાવે ઝીલેલા ઘા રુઝાઈ ગયા, એના આત્માનું આભામંડળ
આનંદના બીબામાં નવેસર ઢળાયું, એનું શરીર સ્વર્ગીય શુકિતની જેમ ઝગમગવા
લાગ્યું, એની પાર્થિવતાને સુરસદનની સંપત્તિઓ અનાયાસે પ્રાપ્ત થઇ ગઈ.
હવે રાજા અશ્વપતિ ઉચ્ચ દેવોના જેવો બની ગયો. એની નસોમાં મહાસુખનો મધુરસ
વહેવા લાગ્યો, એનું શરીર અનંતદેવના અમૃતનું પવિત્ર પાત્ર બની ગયું. એનું
હૃદય પરમાત્માના સ્પર્શથી ચકિત બની ગયું, પ્રેમનું રૂપ લઇ શાશ્વતતા એની
સમીપમાં આવી, અજ્ઞેય આનંદનું એક મહાબિન્દુએની ઉપર ઊતર્યું અને પરમ-સુખના
મહાસાગરે એના આત્માને પરિપ્લાવિત કરી દીધો. માનવી પિંડને શીર્ણ-વિશીર્ણ કરી
નાખે એવું પરમસુખ અશ્વપતિમાં રમમાણ થવા લાગ્યું, અને દેવલોક જ જેને ધારણ
કરવાને સમર્થ છે એવા પરમ પ્રહર્ષ એણે પોતામાં ધારણ કર્યો. અમૃતત્વે કાળને
ને જીવનને કબજે કર્યાં.
|
|
મહાસુખતણો મોટો દિન એની આસપાસ ઝગી રહ્યો.
પ્રકાશ એ હતો કોઈ એક મોટો હર્ષ-પૂર્ણ અનંતનો,
ધારતો એ હતો સ્વીય સ્વર્ણવર્ણ હાસ્યની ભવ્ય દીપ્તિમાં
પ્રદેશો મુક્તિ પામેલા હૈયાના સુખશર્મના,
પ્રભુના મધથી મત્ત ને નિમગ્ન પ્રકાશમાં,
દિવ્ય નિત્ય નિરંતર.
માનીતો ને અંતરંગ સંબંધી દેવલોકનો,
હર્ષોપભોગ માટેનો દિવ્ય આદેશ પાળતો,
સત્તા ચલાવતો 'તો એ નિજાનંદતણી પરે,
નિજ શક્તિતણાં રાજ્યો પે એની પ્રભુતા હતી.
જે માટે સર્વ રૂપો છે સર્જાયાં તે
મહાસુખતણી એને માટે નિશ્ચિતતા હતી,
ભય, શોક અને દૈવી આઘાતોથી ન વિચાલિત એ થતો,
ભાગતા કાળને શ્વાસે થતો ના ભયભીત એ,
ઘેરો ના ઘાલતી એની આસપાસ વિપરીત પરિસ્થિતિ,
શ્વાસોચ્છવાસ હતો લેતો આરામે એ મીઠા સલામતીભર્યા,
સાવધાની રાખવી ના પડે એવા પ્રકારના,
મોતને નોતરું દેતી આપણી આ દેહનશ્વરતાથકી
એને મુક્તિ મળી હતી,
|
૩
|
|
ગોથાં ખાનાર સંકલ્પતણા જોખમથી ભર્યા
ક્ષેત્રથી દુર એ હતો.
આવેશી સ્પંદનો કેરી પર એને
ન 'તી નિગ્રહ રાખવાની જરૂરત;
સ્નેહોષ્માયુક્ત સંતોષે પૂર્ણ સંવેદનાતણા
આશ્લેષે એ હતો પુલકથી ભર્યો,
પ્રાણાવેગતણી રાતી રુચિરા રશ્મિએ ભરી
શરતે દોડવા તણી
ધસારો કરતી વેગવંતી આશ્ચર્ય-ભાવના,
જવાલાએ ને પુકારે એ રોમાંચિત બની જતો,
પ્રભુના હાસ્ય કેરા એ રત્નરમ્ય લયે નિવસતો હતો
ને વિશ્વ-પ્રેમના વ્યાપ્ત હૈયે એ પોઢતો હતો.
અશૃંખલિત આનંદ બ્રહ્ય કેરો નિરાપદ બનેલ ત્યાં
ના પૃથ્વી પરની એવી પદ્મિનીની સુવાસમાં
ઊર્મિલાં ગીત ગાનારાં વેગવંત વહી જતાં
અશોક ઝરણાંઓને તટે તટે
વિલસંતાં ધણો સૂર્ય કેરાં ને ચન્દ્રમાતણાં
ગોચરોમાં ચરાવતો.
મહાસુખતણું મૌન હતું સ્વર્ગો લપેટતું,
અવિરામ પ્રભા એક શિખરોની પર સુસ્મિત વેરતી,
હર્ષાતિશયનો એક મર્મરાટ હતો અસ્પષ્ટતા ભર્યો,
હવામાં સ્પંદતો 'તો એ, મંત્રમુગ્ઘ ધરાને સ્પર્શતો
હતો;
મહામુદાતણા બાહુ મધ્યે સતત સંસ્થિતા
ઈચ્છા કર્યા વિના મીઠા સ્વર કેરી આવૃત્તિ કરતો જતો
નિ:શ્વાસ ઘડીઓ સાથે વહેતો 'તો પ્રહર્ષનો.
પ્રભાવી મહિમાની ને શાંતિ કેરી કમાનની
નીચે અશ્વપતિ આગે વધ્યે જતો,
ઉચ્ચ ભોમે અને ધ્યાને લીન પર્વતધારની
પર યાત્રા કરંત એ,
કાચે જગતના જાદુગર કેરો જેમ હો કો નિહાળતો
પલાયન કરી જાતાં ચમત્કારી ચિત્રો ચૈત્ય-પ્રદેશનાં,
તેણે તેમ કર્યાં પાર દૃશ્યો અમર હર્ષનાં
અને નજરને માંડી ગહાનોમાં
|
૪
|
|
રમ્યાતાનાં અને મોટી મુદતણાં.
ચેતનવંત સૂર્યોની જ્યોતિ એની આસપાસ બધે હતી,
પ્રતીકાત્મક ને ભવ્ય વસ્તુઓની
હતી એની આસપાસ ચિંતનસ્થ પ્રન્નતા;
ભેટવા ઉમટયાં એને મેદાનો ત્યાં પ્રભાએ પૂર્ણ શાંતિના,
ધન્યાત્માઓતણા શૈલો અને ખીણ-પ્રદેશો જંબુવર્ણના,
નિકુંજો હર્ષના ગાઢ ને મંજુસ્વર ધોધવા,
ને ઝાડીઓ નીલરક્ત કંપમાન વિવિક્તની;
નીચે ગંધર્વરાજોનાં નગરો લીન સ્વપ્નમાં
રત્ને ખચ્ચા વિચારોની ધુતિ શાં ત્યાં ઢળ્યાં હતાં.
અવકાશતણી સ્પંદમાન એવી ગુપ્તતાઓમહીં થઇ
આછેરું સુખિયું સર્પી આવતું 'તું સંગીત મંજુતાભર્યું,
સ્વર્ગના ચારણો કેરી સારંગીઓ
અણદીઠા હાથે વાગી રહી હતી,
હૃદયંગમ તેઓના સ્વર એ સુણતો હતો,
શ્વેત તે આસમાનિયા
ચંદ્રિકા જ્યાં હતી વ્યાપ્ત હવામાં સ્વર્ગલોકની,
ત્યાં મીઠા રાગના સૂરો અલૌકિક પ્રકારના
શાશ્વત પ્રેમનાં ગાતા હતા ગૌરવગીતડાં
તે સૌ એ સુણતો હતો.
એ અદભુત જગત્ કેરું શિર ને સારભાગ જે
તે નિરાળી હતી ઊભી નામહીન
ગિરિમાળા પરમાનંદ ધામની,
સૂર્યાસ્ત સમ ઝાળો એ કાઢતી 'તી સંધ્યા કેરી સમાધિમાં.
અણશોધાયલી જાણે કો નવીન અગાધતા
પ્રત્યે નિ:સ્પંદ આનંદે તલભોમ હતી નિમગ્ન તેમની;
ઢોળાવો એમના નિમ્ન દિશામાં ડૂબતા હતા
હાસ્યની ને સ્વરો કેરી ત્વરિતા ગતિમાં થઇ,
ગાતાં ઝરણાનાં વૃન્દો કરતાં પાર એમને,
પોતાના સુખિયા સ્તોત્રે ભક્તિગાન કરતાં નીલ વ્યોમનું,
પ્રવેશતાં અરણ્યોની છાયાલીન રહસ્યમયતામહીં:
મહાનીરવતા પૂર્ણ નિગૂઢમયતા મહીં
ઊર્ધ્વમાં ઉંચકાયેલાં
શિખરો એમનાં ઊંચે આરોહણ કરી જતાં |
૫
|
|
જીવનાતીત કો એક મહિમાની દિશા પ્રતિ.
પ્રાણના દેવતાઓનાં દેદીપ્યમાન નંદનો
સત્કાર કરતાં એનો સામંજસ્યોમહીં અમર એમનાં.
કાળમાં વિકસે છે જે તે બધી ત્યાં હતી સંસિદ્ધ વસ્તુઓ;
સૌન્દર્ય ત્યાં હતું બીબું સ્વાભાવિક જ સૃષ્ટિનું,
અને શાંતિ હતી ભોગે વિલસંતી રોમહર્ષ પવિત્રતા.
પ્રેમ ત્યાં કરતો સિદ્ધ સોનેરી ને ગુલાબી નિજ સ્વપ્નને,
અને બળ હતું એનાં દિવાસ્વપ્નો
અભિષિક્ત બનેલાં ઓજથી ભર્યાં;
ઈચ્છા આરોહતી ઊંચે
વેગવંતી અને સર્વસમર્થા અચિં રૂપમાં,
અને વિલાસ દેવોના પરિમાણે પ્રવર્તતો;
તારાઓના રાજમાર્ગે સ્વપ્ન સંચરતું હતું;
ચીજો સામાન્ય ને મીઠી પલટાઈ ચમત્કારો બની જતી:
ઝાલી લેવાયલો જાદૂભર્યા મંત્રે આત્માના અણચિંતવ્યા,
દિવ્ય ભાવાવેશ કેરા કીમિયાના પ્રભાવથી
દુઃખભાવ બલાત્કારે સ્વરૂપાંતર પામતાં
સમર્થ ધરતો રૂપ પ્રમોદનું,
સ્વર્ગ-નરકની વચ્ચે રહેલ વિપરીતતા
ને વિરોધ મિટાવતો.
મૂર્ત્તિમંત થયાં છે ત્યાં જિંદગીનાં સઘળા ઉચ્ચ દર્શનો,
આશાઓ ભમતી એની પુરાઈ છે,
ને એના મધપૂડાઓ સુવર્ણોજજવલ શોભતા
મધુભક્ષકની બ્હાર લપકંતી જિહવાએ છે ઝલાયલા,
જ્વલંત અનુમાનો છે એહનાં બદલાઈને
પરમાનંદથી પૂર્ણ સત્યો સાક્ષાત્ બની ગયાં,
એની જબ્બર હાંફો છે મૃત્યુમુક્ત શાંતિમાં સ્પંદહીન ત્યાં,
એની અથાગ ઈચ્છાઓ પામી છે ત્યાં સ્વતંત્રતા.
પૂર્ણતા-પૂર્ણ હૈયું ને પૂર્ણ સંવેદનો જહીં
એવી એ સ્વર્ગભૂમિમાં
એની ઉત્કટ ને સાવ શુદ્ધ મધુરતાતણી
અનંત મોહિનીને ત્યાં તોડવા ના નિમ્ન સૂર સમર્થ કો;
પગલાં પડશે ક્યાં તે અંત:સ્ફુરણને બળે
એ સુનિશ્ચિત જાણતી, |
૬
|
|
આત્માના દીર્ધ સંઘર્ષે જન્મી તીવ્ર વ્યથા પછી
સ્થિર શાંતિ મળી અંતે, મળ્યો વિશ્રામ સ્વર્ગનો,
ને શોકહીન હોરાની ચમત્કારી છોળોની ગોદ સેવતાં
ઘા રુઝાઈ ગયા એના વીર-ભાવી સ્વભાવના
શરીરે જે થયા હતા
એને આશ્લેષમાં લેતી ઊર્જાઓની ભુજામહીં--
ને ઊર્જાઓ સહેતી ના કો કલંક
ને ન બીતી મહાસુખ થકી નિજ.
જે દૃશ્યોની મનાઈ છે આપણી મંદ આંખને,
ચમત્કારી સુવાસો ને રંગો અદભુતરૂપ જે
તે સૌની મધ્યમાં એને મળ્યાં રૂપો
દૃષ્ટિને જે દિવ્ય દિવ્ય બનાવતાં,
હતું સમર્થ દેવા જે મનને અમરત્વ ને
હૈયાને આપવા બ્રહ્ય-બૃહત્તા શક્તિમાન જે
તે સંગીત તહીં તેણે શ્રવણો દઈને સુળ્યું,
ને જે જગાડતા ગૂઢ શ્રુતિને તે અશ્રાવ્ય લયને ગ્રહ્યા :
અનિર્વાચ્યા મૌનમાંથી સુણે કાન એમને આવતા અહીં,
શબ્દવર્જિત વાણીના સૌન્દર્યે સ્પંદમાન એ,
વિચારો આવતા એવા મોટા ગંભીર રૂપ કે
એમને કરવા વ્યક્ત અક્ષરો મળતા નહીં,
એવા વિચાર કે જેઓ
ઈચ્છા થાતાં વિશ્વને આ નવેસર બનાવતા.
ઇન્દ્રિયાનુભવશ્રેણી જવલંતાં પગલાં ભરી
અકલ્પ્ય સુખનાં શૃંગો પ્રતિ આરોહતી હતી,
એણે એના સત્ત્વ કેરા
આભામંડળને ઢાળ્યું નવે રૂપે હર્ષની દીપ્તિની મહીં,
આકાશી શુક્તિની જેમ દેહ એનો દમકારે ભર્યો થયો,
વિશ્વ પ્રત્યે ઉઘડેલાં એનાં દ્વારો
દ્વારા આવ્યા ઊમટી જ્યોતિસાગરો.
સ્વર્ગીય ક્ષમતા કેરું એના પાર્થિવ ભાગને
સંપ્રદાન થયું હતું;
મન ને માંસમાટીની બંધ ચોકી જકાતની
ઓળંગીને દાણચોરી કરી એને લાવવી પડતી ન 'તી
દેવતારૂપતા માનવતામહીં, |
૭
|
|
કેમ કે આ કશા કેરી જરાયે ના જરૂર જેહને પડે
એવી એક શક્તિ એની મહીં આવી ગઈ હતી.
પરમાનંદ માટેની અશ્રાન્ત ક્ષમતાતણી
મહોચ્ય માગણીથી એ જરાયે ના સંકોચ પામતી હતી,
સ્વીય અનંતતા, સ્વીય સૌન્દર્ય, સ્વીય રાગ ને
ઉત્તર સ્વ-અગાધનો
શોધવાને શક્તિમાન ઓજ એની મહીં હતું,
ને જ્યાં આત્મા અને દેહ પરમાનંદની મહીં
એકરૂપ બની જતા,
ને સ્વરૂપ અને રૂપ વચ્ચેની તકરારનો
અંત આવી જતો જેમાં એક્સ્વરૂપતા મહીં,
તે હર્ષપૂર્ણ મૂર્છાનો ભય એને હતો નહીં.
દૃષ્ટિ ને શબ્દમાંથી એ અધ્યાત્મ શક્તિ ખેંચતી,
ઇન્દ્રિયજ્ઞાનનો એણે
બનાવ્યો 'તો માર્ગ પ્હોંચી જવા માટે અગોચરે :
સામગ્રી સર્જતા 'તા જે જિંદગીના અંતરતર આત્મની
તે પ્રભાવો ઊર્ધ્વ કેરા એને રોમહર્ષણે ભરતા હતા.
નવજાત અવસ્થામાં હતો એનો સ્વભાવ પૃથિવીતણો
સાથી બનેલ સ્વર્ગનો.
સુયોગ્ય સહચારી એ કાલાતીત રાજરાજેશ્વરોતણો,
જીવતા-જાગતા એવા આદીત્યોના દેવતાઓ-સમોવડો,
અજ્ન્માઓતણા શુભ્ર વિનોદોમાં ભળંત એ,
લીલાધર ન દેખાતો કદી, તેના સુણતો કર્ણ-મર્મરો,
ને હૈયાને હરી લેતો
અને પ્રભુતણા પ્યારા હૈયા પ્રત્યે આકર્ષીને લઇ જતો
સાદ એનો સુણતો શ્રવણો દઈ,
ને સ્વર્ગ-સરિતો જેમ મધુ એની મુદાતણું
નિજ નાડીમહીં વ્હેતું હોય એવું ત્યાં એને લાગતું હતું,
એણે શરીર પોતાનું સુધાપાત્ર બનાવ્યું કેવાલાત્મનું.
ઓચિંતી પલકો માંહે આવિષ્કારક જોતની,
ભાવોદ્વેકી અર્ધમાત્ર ખૂલેલા ઉત્તરો મહીં,
અજ્ઞાત સંમુદાઓની સીમાએ એ પહોચિંયો;
એના ઉતાવળા હૈયે અણધાર્યો થયો પરમ સ્પર્શ કો,
આશ્ચર્યમયનો એને યાદ આશ્લેષ આવિયો, |
૮
|
|
શુભ્ર નિ:શ્રેયસોમાંથી ઈશારાઓ આવ્યા નીચે છલંગતા.
આવી શાશ્વતતા પાસે લઈને વેશ પ્રેમનો
ને કર્યું કબજે એણે કાલ કેરું કલેવર.
જરાક જેટલું આવે વરદાન આનંત્યો પાસથી છતાં
તેનાથી જિંદગીને જે આનંદલાભ થાય છે
તેનું માપ ના નીકળે;
પ્રતિબિંબિત ત્યાં થાયે કહ્યું જાયે ન તે સૌ પારપારનું,
બિન્દુ એક મહાકાય અવિજ્ઞેય મહાસુખતણું દ્રવ્યું,
પરાભૂત કર્યાં એણે અંગો એનાં
ને એ એના આત્માની આસપાસમાં
પરમાનંદનો દીપ્ત મહાસિંધુ બની ગયું :
ડૂબી એ તળિયે બેઠો વિરાટોમાં મીઠડાં ને જવલંત કૈં:
માનવી પિંડના ચૂરા કરી નાખે એવી ઘોર મુદા અને
પ્રહર્ષ દેવતાઓ જે ધારવાને સમર્થ છે
તે એણે નિજમાં ધર્યાં.
મૃત્યુમુક્ત સુખે સ્વીય ઊર્મિઓમાં સાધી એની પવિત્રતા
ને એના બળને નાખ્યું પલટાવી અમર્ત્ય શક્તિરૂપમાં.
કાળને કરતું કેદી અમૃતત્વ, વહી જીવનને જતું.
|
૯
નવમો સર્ગ સમાપ્ત
|